વેબ સરિતા: May 2015
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Sunday 10 May 2015

પુરુષ એટલે શું? - કાજલ ઓઝા વૈદ્ય

પુરુષો વિશે પુરુષો દ્વારા ઘણું લખાયુ છે. પણ જ્યારે એક સ્ત્રી પુરુષ વિશે લખે ત્યારે તે વાસ્તવિકતાની વધુ નજીક હોય છે.
પુરુષ એટલે શું?
-પુરુષ એટલે પત્થરમાં પાંગરેલી કૂંપળ.
-પુરુષ એટલે વજ્ર જેવી છાતી પાછળ ધબકતું કોમળ હૈયુ.
-પુરુષ એટલે ટહુકાને ઝંખતુ વૃક્ષ.
-પુરુષ એટલે તલવારની મૂઠ પર કોતરેલું ફુલ.
-પુરુષ એટલે રફટફ બાઇકમાં ઝૂલતું હાર્ટશેપનું કીચેઇન.
-પુરુષ એટલે બંદુકનાં નાળચામાંથી છૂટતુ મોરપિંછું.
પુરુષ એ નથી જે ફિલ્મો કે ટી.વી.માં જોવા મળે છે; પુરુષ એ છે જે રોજબરોજની ઘટમાળમાંથી આંખ સામે ઉપસી આવે છે.
પુરુષ એમ કહે કે 'આજે મૂડ નથી, મગજ ઠેકાણે નથી' પણ એમ ના કહે કે 'આજે મન ઉદાસ છે.'
સ્ત્રી સાથે ઘણી વાતો શેર કરી શકતો પુરુષ પોતાના દર્દ શેર નથી કરી શકતો.
સ્ત્રી પુરુષનાં ખભા પર માથું ઢાળી રડે છે. જ્યારે પુરુષ સ્ત્રીનાં ખોળામાં માથુ છૂપાવી રડે છે.
જેમ દુનિયાભર ની સ્ત્રીઓને પોતાના પુરુષનાં શર્ટમાં બટન ટાંકવામાં રોમાંચ થાય છે એ જ વખતે એ સ્ત્રીને ગળે લગાડી લેવાનો રોમાંચ પુરુષોને પણ થતો હોય છે.
હજારો કામકાજથી ઘેરાયેલી સ્ત્રી જ્યારે પુરુષને વાળમાં હાથ ફેરવી જગાડે છે ત્યારે પુરુષનો દિવસ સુધરી જાય છે.
જીતવા માટે જ જન્મેલો પુરુષ પ્રેમ પાસે હારી જાય છે અને જ્યારે એ જ પ્રેમ એને છોડી જાય ત્યારે તે મૂળ સોતો ઉખડી જાય છે.
સ્ત્રી સાથે સમજણથી છૂટો પડતો પુરુષ તેનો મિત્ર બનીને રહી શકે પણ...બેવફાઇથી ત્યજાયેલો પુરુષ કચકચાવીને દુશ્મની નિભાવે છે.
ધંધામા કરોડોની નુકશાની ખમી જાતો પુરુષ ભાગીદારનો દગો ખમી નથી શકતો.
સમર્પણ એ સ્ત્રીનો અને સ્વીકાર એ પુરુષનો સ્વભાવ છે પણ પુરુષ જેને સમર્પિત થાય એનો સાત જન્મ સુધી સાથ છોડતો નથી.
પુરુષ માટે પ્રેમનાં સુંવાળા માર્ગ પર લપસી જવું એ એક થ્રીલ છે અને સહજ પણ છે; પરંતુ એની જ સ્ત્રી માટે તે બ્લેકઝોન છે જ્યાંથી પાછી ફરેલી સ્ત્રીને એ ચાહી શકતો નથી.
પરણવું અને પ્રેમ કરવો એ સ્ત્રી માટે એક વાત હોઇ શકે, પુરુષ માટે નહી.
એક જ પથારીમાં અડોઅડ સૂતા બે શરિરો વચ્ચેની અદ્ર્શ્ય દિવાલ નીચે પુરુષ ગુંગળાતો રહે છે પણ ફરિયાદ કરતો નથી.
પુરુષને સમાધાન ગમે છે, પણ જો એ સામે પક્ષેથી થતુ હોય તો.
ગમેતેવો જૂઠો, લબાડ ,ચોર, લંપટ, દગાખોર પુરુષ પણ પોતાના પરિવાર સાથે સરળ સદગૃહસ્થ જ હોય છે.
સ્ત્રીનું રુદન ફેસબૂકની દિવાલને ભિંજવતું હોય છે પણ પુરુષનું રુદન એનાં ઓશિકાની કોરને પણ પલાળતુ નથી..!!
કહેવાય છે કે 'સ્ત્રીને ચાહતા રહો સમજવાની જરુર નથી'; હું કહુ છુ પુરુષને બસ.. સમજી લો.. આપોઆપ ચાહવા લાગશો

Posted By: http://web-sarita.blogspot.com/ Sunday 10 May 2015

Friday 8 May 2015

સ્ત્રી પુરષના મિલન વગર જ થયો કન્યાનો જન્મ...


પ્રકૃત્તિનો નિયમ છે કે સ્ત્રી પુરુષના સંયોગથી જ સંતાનનો જન્મ થાય છે. આ નિયમ મોટેભાગે તમામ જીવો અને જંતુઓમાં પણ જોવા મળે છે. શાસ્ત્રોમાં આ વિશે જે કથાઓ મળે છે તેમાં સૃષ્ટિનો આરંભ બ્રહ્માજી યોગબળથી કરતા હતા પણ તેમને તે ક્રિયામાં ખુબ જ સમય લાગતો હતો.

બ્રહ્માજીએ ભગવાન શિવજીની તપશ્રર્યા કરીને પ્રાર્થના કરી કે સૃષ્ટિના વિકાસ માટેનો બીજો રસ્તો કાઢો. ભગવાન બ્રહ્માના તપથી પ્રસન્ન થયા અને પોતે અર્ધનારીશ્વરના રૂપમાં પ્રગટ થયા. તે પછી સ્ત્રી પુરષના મૈથુનથી સૃષ્ટિનો પ્રારંભ થયો. પણ આજે આપણે એ વિશે વાત કરીશું કે જે સૃષ્ટિના નિયમોથી વિરુધ્ધ શક્ય બન્યું. સ્ત્રી-પુરષના સંયોગ વગર જ એક બાલિકાનો જન્મ થયો. તે બાલિકાને જન્મ એક માછલીએ આપ્યો. 

આપણે જેની વાત કરી રહ્યાં છીએ તે છે ભિષ્મ પિતામહની અપર મા સત્યવતીની છે. તે મત્સ્યકન્યા તરીકે ઓળખાતી હતી. તેનો જન્મ કેવી રીતે થયો તે બહુ જ રસપ્રદ છે. રાજા સુધન્વા એક વખત શિકાર પર ગયા હતા. પાછળથી તેમની પત્ની રજસ્વલા થઈ અને તેને ગર્ભધારણ કરવાની પ્રબળ ઈચ્છા થઈ આવી. રાણીએ એક શિકારી પક્ષી ગ્વારા રાજાને પોતાનો સંદેશો મોકલી આપ્યો. રાજાએ જવાબમાં એક પાત્રમાં પોતાનું વિર્ય આપીને રાણીને પહોંચાડવા પક્ષીને આપ્યું.

માર્ગમાં અન્ય શિકારી પક્ષી મળી જતા બંને પક્ષીઓ વચ્ચે યુધ્ધ શરૂ થઈ ગયું. દરમિયાન પક્ષી પાસેથી વીર્યપાત્ર છૂટી જતા યમુના નદીમાં પડ્યું. તે સમયે બ્રહ્માજીના શ્રાપથી એક અપ્સરા યમુના નદીમાં રહેતી હતી. તેણે તે વીર્ય ગ્રહણ કરી લીધું. તેનાથી તે ગર્ભવતી થઈ. 

ગર્ભકાળ પૂરો થવા આપ્યો ત્યારે તે એક માછીમારની નેટમાં ફસાઈ ગઈ. તે માછલી અલગ પ્રકારની અને વિશાળ હતી તેથી તેને રાજદરબારમાં લઈ જવામાં આવી. રાજા સુધન્વાએ તેનું પેટ ચીરવા આદેશ આપ્યો ત્યારે તેમાંથી એક બાળક અને એક કન્યા પ્રાપ્ત થઈ. રાજા સુધન્વાએ બાળકને પોતાની પાસે રાખી લીધો જ્યારે કન્યાના શરીરમાંથી માછલીની ગંધ આવતી હોવાથી તેને માછીમારને સોંપવામાં આવી. ત્યારથી તે કન્યાનું નામ મત્સ્યગંધા પડી ગયું. 

માછીમારે કન્યા મોટી થતાં તેનું સૌંદર્ય ખિલવા લાગ્યું. માછીમારે તેને યાત્રિકોને હોડીમાં યમુના પાર કરાવવાના કાર્યમાં લગાડી દીધી. એક દિવસ ઋષિ પરાશર યમુના પાર કરવા મત્સ્યગંધાની હોડીમાં બેઠા. તેનાથી તે મોહિત થઈ ઉઠ્યા.

તેમણે મત્સ્યગંધા સમક્ષ પોતાના પ્રેમનો એકરાર કર્યો અને તેનાથી સંતાન ઉતપન્ન કરવાની વાત કરી. ત્યારે કન્યાએ ના પાડી દીધી કે આપણુ મિલન કેવી રીતે શક્ય છે? તેનાથી મારું કૌમાર્યભંગ થશે. ત્યારે ઋષિએ તેને વચન આપ્યું કે સંતાન ઉતપન્ન કર્યા પછી પણ કુંવારી જ રહેશે. અને તેના શીરમાંથી આવતી ગંધ પણ ચાલી જશે. ત્યારે તે તૈયાર થઈ. ઋષિએ પોતાના તપોબળથી ઘનઘોર ઘુમ્મસ સર્જી દીધું અને મત્સ્યગંધા સાથે મિલન કર્યું.

તેમના મિલનને પરિણામે મહર્ષિ વ્યાસનો જન્મ થયો. તેના શરીરમાંથી આવતી ગંધ ચાલી ગઈ અને સુગંધ પ્રસરવા લાગી. ત્યારથી તેનું નામ ગંધા અને સત્યવતી પડ્યું. અંતે તે રાજા શાંતનું સાથે લગ્ન કરીને કુરુવંશની રાજરાણી બની.
[ http://www.sandesh.com/article.aspx?newsid=3073307 માંથી સાભાર ]

Posted By: http://web-sarita.blogspot.com/ Friday 8 May 2015

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.