વેબ સરિતા: 08/24/14
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Sunday 24 August 2014

લગ્નની વ્યાખ્યા બદલાય છે….– અવંતિકા ગુણવંત

શાસ્તા અને તન્વય , લગ્ન થયાં ત્યારે બેઉ આસમાનમાં ઊડતાં હતાં. તન્વય સગર્વ કહેતો. ‘મારે જોઇતી હતી એવી જ પત્ની મને મળી, ભણેલી ગણેલી, પ્રોફેશનલ ડિગ્રીવાળી ઉપરાંત એની લાઇનમાં આગળ વધેલી’
શાસ્તા કહેતી હતી, ‘મને સમજી શકે, મારી કદર કરી શકે ને મારી કેરિયર ખીલવા દે એવો પતિ મારે જોઇતો હતો. તેથી તો આટલાં વરસો સુધી રાહ જોઇ. અંતે મારી પ્રતીક્ષા સાર્થક થઇ ગઇ.’
બેઉ એકબીજાને કહેતાં,’આપણે અન્યોન્ય માટે જ સર્જાયાં છીએ. આપણું જીવન એક આદર્શ જીવન હશે – સુખ અને સુંદરતાથી છલકાઇ જતું.’ બેઉ સમાન સ્વપ્નો જોતા હતાં. પણ એમનાં આ સ્વપ્નાં સાકાર નાં થયાં. એકાદ બે મહિનામાં જ એમના પ્રેમના મહેલમાં તિરાડો પડવા માંડી. ગીત-સંગીતના સ્થાને ઘાંટાઘાંટા અને ફૂંફાડા સંભાળાવા માંડ્યાં.
શાસ્તાની મોડા ઊઠવાની ટેવ, બહાર જવાની વખતે જ નહાવાની ટેવ, મન થાય ત્યારે જ રસોડામાં જવાની ટેવ, ઘડિયાળના કાંટે નહીં પણ મૂડ પ્રમાણે કામ કરવાની આદત તન્વયને ના ગમે. તન્વય શિસ્તબદ્ધ શૈલીમાં ઊછર્યો હતો. તેથી એ કચકચ કરતો, તો શાસ્તા કહે, ‘તારે દસ વાગે જમવાનું જોઇએ છે ને, ત્યારે તને મળી રહે છે, પછી હું રસોડામાં સાત વાગે પેસું કે નવ વાગે, તું શું કામ ચિંતા કરે છે?’
‘પણ મમ્મી તો સવારથી રસોડમાં જ હોય છે.’ તન્વય દલીલ કરતો.
‘મેં મમ્મીને કહ્યું છે, હું રસોઇ કરીશ. મેં જવાબદારી લીધી પછીય તેઓ રસોડામાં જાય તો હું શું કરું ?’
‘પણ તું મોડે સુધી બહાર બેસી રહે તો એમનો જીવ કેમ ઝાલ્યો રહે ? સવારે તો રસોડું સંભાળવું જ જોઇએ !’
‘રસોડું નહી રસોઇ; અને હું ક્યારે એ શરૂ કરું, કેવી રીતે કરું એ મારી પર છોડી દેવાનું હોય, તમારે તો ખાવા સાથે જ મતલબ રાખવાનો હોય.’ શાસ્તા કહેતી.
શાસ્તાની વાત સાચી હતી પણ પોતાની મમ્મી વરસોથી જે કાર્યપદ્ધતિથી ટેવાઇ ગઇ હોય એ રીતે શાસ્તા અનુસરે એવો તન્વય આગ્રહ રાખે ને શાસ્તાને એ વાત સ્વીકાર્ય નહીં. એ એની રીતને જ વળગી રહે. આમ મતભેદ ની શરૂઆત પછી તો શાસ્તાના દરેક કામમાં સાસુને ખામી દેખાવા માંડી ને એમનો બડબડાટ શરૂ થઇ ગયો.

દાળ બરાબર ઊકળી નથી, કયાંથી ઊકળે ? નવ વાગે તો કૂકર મુકાય છે. રોટલી ચવડ છે. શાક સરખું સીજ્યું નથી. રાયતું હજી બનાવ્યું નથી ? કચુંબરમાં લીંબુ નિચોવ્યું ને ! મને ખબર જ હતી. મન વગરનાં કામમાં ભલીવાર જ શું હોય ?’ શાસ્તાની રસોઇ માં ખામી કાઢવાની જ એવો ઘરનો જાણે નિયમ થઇ પડ્યો હતો. શાસ્તા રસોઇમાં બેદરકાર ન હતી, પરંતુ એના પિયરના અને અહીંના ટેસ્ટ અલગ હતા, રીત અલગ હતી તેથી એ નિખાલસતાથી કહેતી, ‘અહીંની રીત હાથે ચડતાં થોડી વાર તો લાગે ને !’ ‘વાર શું, તને રસોઇમાં રસ જ નથી.’ તન્વય તાડૂક્યો. તન્વય શાસ્તાને સમજવા પ્રયત્ન કરતો જ નહીં. શાસ્તા ડઘાઇ જતી. જે તન્વયને હું સંસ્કારી સમજતી હતી એ આવા સૂરે બોલે ? મારું અપમાન કરે ? સાસુ – સસરા બોલે તો એ જૂની પેઢીનાં છે એમ સમજી ને ચલાવી લેવાય. પણ તન્વયથી તો આમ બોલાય જ કેવી રીતે ? એણે તો બેઉ પક્ષ વચ્ચે સમતોલન રાખવું જોઇએ. બેઉને સાચવવા જોઇએ.
શાસ્તા ચા બનાવવા જતી હોય તોય તન્વય મોટેથી બોલે, ‘ચા બનાવજે.’ આ સાંભળે ને શાસ્તાનું મગજ ફરી જાય. એ કંઇ જવાબ આપતી નહી, પણ મોં પર ચોખ્ખો અણગમો પ્રદર્શિત કરતી. એના મનોભાવ જોઇને શાંત રહેવાના બદલે તન્વય બોલે જતો, ‘પાણી જેટલું જ દૂધ નાખજે, આદુ છે ને ? આદુ ના હોય તો એલચી નાખજે. બરાબર ઉકાળજે.’
ઓહો, એકસામટી આટલી બધી સૂચનાઓ ? ઘરમાંથી આવી સૂચનાઓ આ પહેલાં અપાઇ તો ગઇ જ છે, છતાં તન્વય શું કામ આવું બધું કહે છે ? એનાં મમ્મી પપ્પા ને ખુશ કરવા ? એ મારી પર હુકમ કરી શકે છે એવું બતાવવા ? તન્વય આટલો સામાન્ય છે ! શાસ્તા ખીજવાઇ ઊઠતી. એ તન્વયને કહેતી, ‘ તારા મોં એ આવું શોભતું નથી. નોકરનેય કોઇ વારંવાર સૂચના નથી આપતું અને આજે મારો આ પહેલો દિવસ નથી. તમારા ટેસ્ટ મુજબની ચા હું બનાવું છું એ તું જાણે છે.’
‘મેં તને કહ્યું ને તે સાંભળ્યું એમાં તારું કંઇ બગડી ગયું ? તું નાના બાપાની થઇ ગઇ ?’ તન્વય રુક્ષતાથી બોલ્યો.
આવી થર્ડક્લાસ ભાષા ? શાસ્તા સ્તબ્ધ થઇ ગઇ. એના ઘરમાં કોઇ આવી રીતે બોલતું નહીં. સંસ્કારી વિસ્તારમાં એનું ઘર હતું તેથી આવી તોછડાઇવાળી ભાષા કદી સાંભળી ન હતી. તે કંઇ બોલી નહીં. આવા સવાલનો શો જવાબ આપવાનો ? હવે તન્વયના અવાજમાં વારંવાર પુરુષનો હુંકાર સંભળાવા માંડ્યો. જાણે એ શાસ્તાને સતત યાદ દેવડાવા માંગતો હોય કે આ ઘરમાં તન્વયની ઇચ્છા પ્રમાણે જ બધું થાશે. શાસ્તાએ એ કહે એમ જ કરવું પડશે.
શાસ્તાએ પુરુષોની આ ગ્રંથિ વિશે ઘણું સાંભળ્યું હતું. સરખેસરખી બહેનપણીઓ તો હસતાં હસતાં કહેતીય ખરી કે હા એ હા કરવાનું પછી આપણું ધાર્યું કરવાનું, થોડું ફોસલાવતાં શીખી જવાનું. એની મમ્મીએ પણ ભારપૂર્વક કહ્યું હતું કે ‘પુરુષ પોતાનો કક્કો ખરો કરવા માંગતો હોય ત્યારે મૌન જ રહેવું. કોઇ દલીલ ના કરવી. જો ને આ ઉંમરે આટલાં વરસો પછીય હું જ્યારે તારા પપ્પા આગ્રહપૂર્વક કંઇ કહેતા હોય ત્યારે ચૂપ જ રહું છું ને !’ શાસ્તાને માની આ શિખામણ બરાબર યાદ હતી છતાંય એ તન્વયને આટલું તો કહી જ કાઢતી કે, ‘ધીમે બોલેલું મને સંભળાય છે, એક વાર સાંભળેલું મને યાદ રહે છે.’
આવું સાંભળે ને તન્વય ગુસ્સાથી રાતોપીળો થઇ જતો. આમે એ ઝટ ગુસ્સે થઇ જતો ને આવેશમાં આવીને પોતે શું બોલે છે એનું ભાન રહેતું નહીં, ક્યારેક તો સામાન્ય વિવેક, રીતભાત ભૂલીને ડોળા કાઢતો, હાથ ઉગામીને શાસ્તાને ડરાવવા પ્રયત્ન કરતો. પછી તો શાસ્તા પોતાનો સંયમ છોડી ને ઇંટનો જવાબ પથ્થરથી આપતી. ઘડીકમાં વાતાવરણ ભારેલા અગ્નિ જેવું થઇ જતું. ઘરમાં બધાં ખળભળી ઊઠતાં. ઘરમાં સાસુ – સસરા પરંપરાગત ખ્યાલોવાળાં હતાં. તેઓ તો દ્રઢપણે માનતાં હતાં કે પત્નીએ પતિ કહે એમ કરવું જ જોઇએ. પતિની સામે બોલવું એ સંસ્કારની ખામી જ ગણાય. એમને શાસ્તા તરફ અણગમો આવી ગયો. શાસ્તા તરફના એમના વ્યવહારમાંથી હેતને ઉષ્મા અદ્ર્શ્ય થઇ ગયાં. તેઓએ શાસ્તાથી અળગા રહેવા માંડ્યું.
તેઓએ તન્વયને કહેવા માંડ્યું, ‘શાસ્તા વધારે પડતી આઝાદ છે, એની પર તો કડકાઇ રાખવી જ પડે. એ કમાય છે તો શું થઇ ગયું ? એનો રુઆબ એની ઓફીસમાં. ઘરમાં તો સ્ત્રીએ સ્ત્રીની રીતે જ રહેવું પડે. ભલે ને આજે આ વાતો નાનીને તુચ્છ લાગે પણ એનો આ સ્વભાવ ? – કાલે તો તન્વય, એ તારીયે પરવા નહીં કરે.’
તન્વયે શાસ્તાની વિરુદ્ધ થઇ ગયો. સંવેદનશીલ શાસ્તા માટે આ બધું અસહ્ય થઇ પડ્યું. આવું તો એણે કદી ધાર્યું જ ન હતું. એ વિચારે છે, ‘મારે આટલું બધું દબાતા રહેવાનું ? શું કામ ? શું કામ હું મારી જાતનું શોષણ થવા દઉં ? દામપત્ય જીવનનું આટલું બધું મૂલ્ય ચૂકવવાનું ?’
શાસ્તા રડતી, મેં ભૂલ કરી છે, તન્વયને ઓળખવામાં મેં ભૂલ કરી છે. પણ હવે શું ? કોઇ અંતિમ પગલું લેવાની એની ઇચ્છા ન હતી. તૈયારી ન હતી. એ જાણતી હતી કે એના લગ્નમાં ભંગાણ પડે તો એનાં માબાપ ને દુઃખનો પાર ના રહે. અને એમ એ ઝટ નિરાશ થાય એવી ન હતી. તેથી વડિલોની શિખામણ પ્રમાણે એ શાંત રહેતી. ચૂપચાપ તન્વયના ઘરની રીત પ્રમાણે રહેવા પ્રયત્ન કરતી પણ જેમ જેમ એ શાંતિ જાળવવા પ્રયત્ન કરતી એમ એમ એનાં સાસુ – સસરા વધારે જોર કરવા માંડ્યાં. શાસ્તાને પ્રેમથી સહકાર આપવાના બદલે શાસ્તા નોકરડી હોય એમ એને વધારે લાચાર પાડવા લાગ્યાં. હેતપ્રેમ તો શું એમની ફરજ અને વિવેકે વિસરી ગયાં. પરિસ્થિતિ સુધરવાનાં કોઇ ચિહન ન જણાતાં શાસ્તા પિયર જતી રહી. એના મનમાં હતું કે એની ગેરહાજરીમાં તન્વયને એની કિંમત સમજાશે, એની યાદ આવશે અને કડવાશ ઓછી થશે. પણ તન્વય તો શાસ્તાને તેડવા શું એક વાર મળવાય ન આવ્યો. આડકતરી રીતેય સંપર્ક કરવાનો પ્રયત્ન ના કર્યો. શાસ્તાને માનભેર તેડી લાવવા કે એને મનાવવાની સાસુ –સસરાએ પણ દરકાર ના કરી. વટના સવાલ પર અડગ રહ્યાં.
શાસ્તા પિતાના ઘેર હતી, પણ તન્વય સાથેના અણબનાવના લીધે એ બહુ તંગ રહેતી. કોઇ કામમાં એનું દિલ ચોંટતુ નહીં. ચિડાયેલી ને અકળાયેલી માનસિક સ્થિતએ એનું શરીરે બગડ્યું. શાસ્તા એનું સત્વ ગુમાવવા માંડી. અને એ યંત્રણા રિબામણીથી છૂટકારો મેળવવા એણે છૂટાછેડા લઇ લીધા.
છૂટાછેડા થયા ને તન્વયનાં મા બાપ નું તો જાણે નાક જ કપાઇ ગયું; આબરૂ જતી રહી. તેઓ ધૂંઆપૂંઆ થઇને માત્ર શાસ્તાને જ નહીં સર્વિસ કરતી સમસ્ત સ્ત્રી આલમને બોલવા માંડ્યાં. કહેવા માંડ્યું કે ‘સર્વિસ કરતી છોકરીને ઘરમાં લવાય જ નહીં. એ પૈસા કમાય એની એટલી રાઇ હોય છે કે પોતાના ઘરનેય પોતાનું નથી ગણતી. પોતાના માણસનીય એને પડી નથી હોતી.’ પોતાની વાતના સમર્થનમાં તેઓએ સીધીસાદી દેખાતી, સર્વિસ ન કરતી ઘરેળુ છોકરી કૃતિની વહુ તરીકે પસંદગી કરી. એમને હતું કે કૃતિ બધી રીતે તન્વયને અનુકૂળ થઇને રહેશે. ઘરને સાચવશે પણ એવું ના થયું. કૃતિ ભલે કેરિયર વુમન ન હતી. પણ એને પોતાના ખ્યાલો હતા, અપેક્ષાઓ હતી. જીવન જીવવાની રીત હતી. એમાં બાંધછોડ કરવા એ તૈયાર ન હતી.
તન્વય હકૂમતભર્યા સૂરે એને કંઇ કહે તો મોં પર સખતાઇ લાવીને એ સ્થિર નજરે એની સામે જોઇ રહેતી. એ નજરનો અર્થ વાંચવાના બદલે તન્વય ખિજાઇને બોલતો, ‘તને સંભળાયું નહીં કે મેં શું કહ્યું એ ?’
ત્યારે કૃતિ જરાયે દબાયા વગર નિશ્ચલતાથી કહેતી, ‘સંભળાયું, બરાબર સંભળાયું પણ હું જે સાંભળું એ પ્રમાણે કરવા બંધાયેલી નથી.’
‘એટલે, એટલે તું શું કહેવા માગે છે?’
‘હું કહેવા માગું છું કે તમે તમારી રીતે જીવો. હું મારી રીતે જીવવા ટેવાયેલી છું. એમાં કોઇ ખલેલ પહોંચાડે એ મને પસંદ નથી.’
ગાલ પર તમાચો પડ્યો હોય એમ તન્વય વળ ખાઇ જતો. ગુસ્સામાં એ કૃતિ તરફ ધસી જતો.કૃતિ ડોક ટટ્ટાર કરીને પહેલાં કરતાંય વધારે કડકાઇથી બોલતી. ‘દૂર ઊભા રહો. મને આવેશમાં ભાન ગુમાવી બેસનાર માણસ પસંદ નથી.’
તન્વય ડઘાઇ જતો. ‘આના અવાજમાં તો જરાય નરમાશ નથી. આ તો મોટી સાર્જન્ટ છે. આની સાથે કેમ કરીને રહેવાય ?’ તન્વય મા આગળ હૈયાવરાળ કાઢતો. પૂછતો. ‘મમ્મી, આ તો કેમ સહન થાય?’ મા યે હવે તો પાઠ ભણી ચૂકી હતી. નવી પેઢીના બદલાતા આચારવિચારથી માહિતગાર થઇ ચૂકી હતી. એ કહેતી, ‘ બેટા, હવે તો સમય બદલાઇ ગયો છે. આજકાલની છોકરીઓ છોકરાઓ કરતાંય વધારે મિજાજી થઇ ગઇ છે, એ કોઇની દાબી નથી દબાતી. એમની રીતે જ વર્તે છે. એ કોઇને ગાંઠતી નથી.’
તન્વય કહેતો, ‘ પણ આના કરતાં તો શાસ્તા સારી હતી. કેટલીય વાર એ ગમ ખાઇ જતી. કોઇ વાર નાહકનો હું ગુસ્સે થઇ જતો તો’યે એ મારું અપમાન નહોતી કરતી. વિવેક ભૂલતી નહીં. એ રડતી પણ રિસાતી નહીં કે મનમાં ડંખ રાખતી નહીં. એ મારો, આપણા બધાંનો વિચાર કરતી.’
‘હા, સુમેળ સાધવા તરફ એનું વલણ રહેતું. એ કદી મહેણાં મારતી નહીં કે કટાક્ષમાં બોલતી નહીં. ઘરની વાત બહાર કરતી નહીં.’
‘એ આપણી રીતે રહેવા પ્રયત્ન કરતી હતી. પાછળ થી તો એ કેટલી ઢીલી થઇ ગઇ હતી. પોતાની જીદ અને આગ્રહ સાવ છોડી દીધાં હતાં.’ તન્વયના પિતા બોલ્યા.
‘આપણે થોડુંક સમજ્યાં હોત તો એ જતી ના રહેત. આપણે થોડી છૂટ મૂકવા જેવી હતી.’
ઘરમાં દરેક ને હવે શાસ્તાના ગુણ અને પોતાનાં વાંક દેખાવા માંડ્યા. તન્વયને તો પોતાની જાત પર ધિક્કાર છૂટ્યો. એ જીવ બાળતો કે પોતાની ભૂલ, અણસમજ અને નાદાનીના લીધે સદગુણી સોનાની પૂતળી જેવી શાસ્તા ગુમાવી. હવે એ દરેક વાતમાં કૃતિને શાસ્તા સાથે સરખાવતો ને એને કૃતિમાં દોષ અને ઊણપો જ દેખાવા માંડ્યાં. કૃતિ એના મનમાંથી ઊતરવા માંડી. એનું અસંતુષ્ટ મન કૃતિ સાથે ઝઘડી પડતું. એ એવા ઝનૂનમાં રહેતો કે ઘડી પછીય કૃતિને સોરી કહીને વાતાવરણ હલકું કરવાનું સૂઝતું નહીં. કૃતિ પણ શાસ્તાની જેમ છોડીને જતી રહેશે એવો વિચારે આવતો નહીં. શાસ્તા ગઇ એની અકળામણ, એનો પસ્તાવો બધું કૃતિ પર ગુસ્સારૂપે ઠલવાતું. પરિણામે કૃતિ એ સામે ચાલીને તન્વયને છૂટો કર્યો. કોઇ પૂછે તો એ વગર ખચકાયે કહેતી. ‘તન્વય પૂરો મેચ્યોર નથી. ક્યારેક અસ્થિર મગજનો હોય એવું લાગતું. એનાં સંસ્કારમાં ઊણાં છે. એના ત્યાંનું વાતાવરણ જ એબનોર્મલ છે. ત્યાં રહેવાય જ નહીં.’
આવું બધું ન તન્વય પાસે પહોંચતું ને એ સળગી ઊઠતો. એનું હ્રદય શાંતિ અને શાતા ઝંખતું પણ ક્યાં મળે એ ચેન ? એ રાહત ? એ નિરાંત ? ઘરમાં તો સૂનકાર એણે જ સર્જયો હતો. માબાપ પર હવે અભાવો આવી ગયો છતાં એનું મન પ્રેમપાત્ર તો ઝંખે છે.
ધીરે ધીરે એ પ્રેમપાત્રમાં શાસ્તાની આકૃતિ સ્પષ્ટ થવા માંડી. એના હ્રદય મનમાંથી શાસ્તા માટે પોકાર ઊઠ્યો. એણે માહિતી મેળવી હતી જે શાસ્તાએ ફરીથી લગ્ન કર્યાં નથી. એ તન્વય કે એનાં માબાપ વિશે જરાય ધસાતું બોલતી નથી. એણે વિચાર્યું તો તો શાસ્તાને જરૂર મારા માટે પ્રેમ જળવાઇ રહ્યો છે. કદાચ એ મારી વાટ જોતી હશે, પણ કેવી રીતે જવું એની પાસે ? અપરાધબોલથી એ એટલો પીડાતો હતો કે શાસ્તા પાસે જવાની હિંમત ચાલતી ન હતી.
એક વરસ ગયું, બે ત્રણ ને ચાર વરસ પછી એણે એક સમારંભમાં શાસ્તાને જોઇ. ને એનાં અવઢવ, સંકોચ સરી પડ્યાં. એ ઉતાવળા પગલે સામે ગયો. એનું મો ખીલી ઊઠ્યું હતું. આનંદ અને આશ્ચર્યથી આંખો ચમકતી હતી. પણ સામે જઇને ઊભો ને વાચા હણાઇ ગઇ. શું બોલવું, કેવી રીતે શરૂઆત કરવી ?
પણ એને સામેથી આવેલો જોઇને શાસ્તાએ વિવેકથી પૂછ્યું, ‘કેમ છો?’
’બસ તારી રાહ જોઉં છું.’ પોતાના માનસનો અહેવાલ તન્વયે આપી દીધો. પણ શાસ્તા કંઇ સમજી ના શકી. એને તો તન્વયના પરિવર્તનનો તાગ ન હતો તેથી પૂછ્યું, ‘એટલે ?’
‘હું તને તેડવા આવું ? તું આપણા ઘેર ચાલ. ‘તન્વયે મનમાં ઘૂંટાતી વાત પૂછી કાઢી.
‘હવે એ ઘર મારું ના કહેવાય.’ સંયતસૂરે શાસ્તા બોલી.
‘શાસ્તા, એ ઘર તારું જ છે. હું અને મમ્મી પપ્પા તારી રાહ જોઇએ છીએ. તું ચાલ.’
શાસ્તા ગંભીર અને ધીર પકૃતિની હતી. લાગણીમાં તણાયા વગર એ બોલી, ‘બીજી વાર કેમ એવું થયું ?’ તન્વયના બીજી વારના છૂટાછેડાની એને ખબર હતી.
‘શાસ્તા, સાચું કહું, તું મારી સાથે હતી ત્યારે મને કંઇ ભાન ન હતું કે હું તને કેટલો ચાહું છું, તું મારા ઊંડાણમાં કેટલી ઊતરી ગઇ છે, ત્યારે હું તારી સાથે ઝઘડતો હતો પણ તું ગઇ ને હું પાગલ થઇ ગયો છું. સ્વપ્નમાંય તને જોઉ છું ને મનોમન તારી સાથે વાતો કરું છું. મારા વાંકે જ આપણે જુદાં પડ્યાં. મને સાથે રહેતાં ના આવડ્યું. હું મારી જાતને નફરત કરું છું. હું મારી ભુલો, અણઆવડત કબૂલ કરું છું.’ તન્વય લાગણીવશ બોલે જતો હતો પણ શાસ્તા એ લાગણીના પૂરમાં ઘસડાયા વગર નિર્લેપભાવે બોલી, ‘જુદાં પડ્યાં પછી મોટા ભાગનાં પતિ-પત્ની આવું જ ફીલ કરતાં હોય છે. લગ્નની નિષ્ફળતામાં એમને પોતાનો જ વાંક દેખાય છે.’
શાસ્તાનો આવો અનાસક્ત ઉતર સાંભળ્યા છતાં તન્વય એવા જ આર્દ્રસૂરે બોલ્યો, ‘શાસ્તા, હું જે કહું છું એ સાચા મન થી કહું છું. મને મારી ભૂલ સ્પષ્ટ દેખાય છે, હવે ફરીથી અવું નહીં થાય એનું વચન આપું છું. ચાલ આપણે કોર્ટમાં લગ્ન કરી લઇએ.’
‘તમને તમારી ભૂલનો અહેસાસ થયો એ બરાબર છે, પણ ફરીથી લગ્ન કરવાને સાથે રહેવા આટલું પૂરતું નથી.’ શાસ્તા એ કહ્યું.
‘તો તું બીજી કોઇ ગેરંટી માંગે છે, કઇ શરત કરવા ઇચ્છે છે ? હું બધા માટે તૈયાર છું.’
‘હું લગ્ન વિશે શું માનું છું એ તો તમે જાણો છો, પહેલી વારે મેં તમને કહ્યું હતું ને આજે પણ એ પ્રમાણે જ માનું છું , કદાચ પહેલાં કરતાં પણ વધારે દ્રઢતાથી, મારી માન્યતા અને આદર્શમાં જરાય ફરક નથી પડ્યો.’
‘તારાં એ માન્યતા અને આદર્શ હવે મારાં થઇ ગયાં છે કે લગ્ન એટલે સ્ત્રીની જિંદગીને પુરુષની જિંદગીના ચોકઠામાં ઢાળી દેવાની નહીં. લગ્ન એટલે હેતપ્રેમ અને સમજપૂર્વકનું સહજીવન. કોઇએ કોઇ પ્રકારનાં આગ્રહ કે અપેક્ષા નહીં રાખવાનાં. બેઉની રીત, માન્યતા, ટેવ, આચારવિચાર, આહાર વિહાર, અલગ અલગ હોઇ શકે.’ મૌખિક પરીક્ષામાં સવાલનો જવાબ આપતો હોય એમ તન્વય કડકડાટ બોલી ગયો.
‘ઓહ, તમને તો બધું યાદ છે. પણ આની સાથે તમે હ્રદયમનથી સંમત થાઓ છો ?’
‘હા, હા, કેમ નહીં ? તારી વાત તદ્દન સાચી છે. દંપતી એવી રીતે જીવે તો જ જીવનમાં વિકાસ સધાય. આવી રીતે જ જીવવું જોઇએ.’ ઉત્સાહ થી તન્વય બોલ્યો.
‘પણ તમે એવી રીતે જીવી શકશો ?’
’હા, હું એવી રીતે જીવવા આતુર છું. શાસ્તા, સો સો વાર હું તને વચન આપું છું. આપણે એ રીતે જ જીવીશું. આપણા વિચ્છેદના અનુભવે મને ઘણું શિખવાડ્યું છે. શાસ્તા, હું ફરી વખત ભૂલ કરવા નથી માગતો. તને મારી પર વિશ્વાસ નથી આવતો ?’
‘તન્વય, સાચું કહું તો હું ફરી લગ્ન કરવાનું વિચારતી જ નથી. એક વખતનાં એ અનુભવે મને એવી છિન્નભિન્ન કરે નાખી હતી, માંડ હું એ બધામાંથી બહાર આવી છું, હવે ફરીથી એ દિશામાં ડગ ભરવાનું સાહસ ના કરી શકાય.’
‘આપણે છૂટાં પડ્યાં ત્યારે તું કેટલી વેદનાગ્રસ્ત હતી એ વખતનો તારો મૂરઝાયેલો ચહેરો હજીય મને બરાબર યાદ છે, એ યાદ આવે છે ને અંદરથી હું કોરાઉ છું. શાસ્તા, તું મને સતત યાદ આવતી હતી, તને હું યાદ નહોતો આવતો ? લાગણીસભર કંઠે તન્વયે પૂછ્યું.
‘વીતી ગયેલી જિંદગી ઝટ ભુલાય તો નહીં ને.’ શાસ્તાના અવાજમાં પણ ભીનાશ હતી.
‘તો તું મને મળવા કેમ ના આવી ? મને એક વાર કહેવડાવ્યું હોત તો ?’ તન્વય સરળતાથી બોલતો હતો. શાસ્તા એને પોતાની લાગતી હતી.
જવાબમાં શાસ્તા માત્ર હસી.
તન્વયે આગ્રહપૂર્વક પૂછ્યું, ‘આપણે ફરીથી ક્યારે મળીશું ?’
શાસ્તા મૌન જ રહે છે. તન્વય આજીજીપૂર્વક કહે જાય છે. ‘શાસ્તા, પ્લીઝ, તું પોઝીટીવ વિચાર કર. તું મળવાનું નક્કી કર. આપણે ફરી મળીશું નહીં તો મનમાં ઊઠતી શંકાઓનું નિરાકરણ કેવી રીતે આવશે ? આપણે એક કેવી રીતે થઇશું ?’
શાસ્તા વિચારે છે કે તન્વય પરિવર્તન પામ્યો છે પણ સાથે રહેતાં ફરી એક વાર એનું અસલી સ્વરૂપ દેખા દે તો ? એ ચલાવી લેવાની મારામાં સહિષ્ણુતા છે ? એક વાર એ લાચારીમાંથી છૂટી છું તો ફરી વાર એમાં સપડાવાની જરૂર ખરી ?
શાસ્તાને વિચારમગ્ન જોઇને તન્વય ફરીથી બોલે છે, ‘તારા મનમાં હજીય શું શંકા છે ?’
‘તન્વય હવે જીવન વિશેની મારી સમજ ધરમૂળથી બદલાઇ ગઇ છે. પહેલાં હું સુખી જીવન માટે લગ્ન અનિવાર્ય, આવશ્યક માનતી હતી. સંસાર, પોતાનો સંસાર રચાય તો જ પરમ સુખ મળે એવાં સંસ્કાર મને ગળથૂથીમાં મળ્યાં હતા. પણ અનુભવે સમજાય છે કે સુખ અનેક પ્રકારનાં હોય છે, સુખી થવાના અનેક માર્ગો છે, ક્યા માર્ગે સુખી થવાય એ માણસે પોતે, જાતે નક્કી કરવું જોઇએ. અને મને અનુભવે સમજાયું છે કે હું લગ્ન માટે નથી સર્જાઇ. મને મારી રીતે જીવતાં આવડી ગયું છે. લગ્નના નામે હું કંઇ છોડવા નથી ઇચ્છતી. ખંડિત થવા નથી માંગતી.’
‘શાસ્તા, લગ્નના નામે મારે કોઇ હક કે અધિકાર નથી જોઇતા.’
‘તો શું જોઇએ છે ?’
’સંગ, તારો સંગ. તું આપી શકે એટલો જ સાથ. શાસ્તા, હું તને એટલું જ કહેવા માગું છું કે હું તને પ્રેમ કરું છું. હું તારી રાહ જોઉં છું ને ચિરકાળ જોયા કરીશ.’ આટલું કહીને તન્વય ગયો.
શાસ્તાનાં મનમાં ઊથલપાથલ મચી. શું કરું ? હું શું કરું ? એનાં મમ્મી – પપ્પાને પૂછ્યું. મમ્મી બોલી, ‘તું આટલી બધી ડિસ્ટર્બ થઇ ગઇ છે એ પરથી તને નથી સમજાતું કે તુંયે તન્વયને ઝંખે છે ?’
‘પણ ફરીથી એવું જ બને તો ?’
‘પણ, પણ શું ? શાસ્તા, તું મનમાં જરાય સંદેહ ના રાખ. તારા જીવનમાં મંગળ ઘટના ઘટે છે, એને રોકવા નકામા ફાંફાં ના માર. ફૂલ ખીલે છે, એમ જ જીવનમાં પ્રેમ પાંગરે છે, એને પાંદરવા દે. તું ભાગ્યશાળી છે દીકરી, અંતે તન્વય તને સમજી શક્યો છે. અને માનભેર, પ્રેમથી એ તને બોલાવે છે. હવે તું સમય ના બગાડ.’
શાસ્તા સમય બગાડ્યા વગર તન્વય સાથે ફરીથી પરણી ગઇ.
[રીડ ગુજરાતી માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/ Sunday 24 August 2014

આપણે બદલાયે... - ચંદ્રહાસ ત્રિવેદી


આપણે મોટેભાગે આપણા સંબંધમાં આવતા લોકોનાં વાણી-વર્તન તરફ ઘ્યાન આપતા હોઈએ છીએ પણ ભાગ્યે જ તટસ્થ રહીને આપણાં વાણી વર્તનનું નિરીક્ષણ કરતા હોઈએ છીએ. જો આપણે આપણું નિરીશ્રણ કરતા હોઈએ છીએ. જો આપણે આપણું નિરીક્ષણ કરવાની ટેવ પાડીએ તો આપણો વ્યવહાર અને પરમાર્થ બંને ઘણાં સુધરી જાય. એનો અર્થ એ થયો કે આપણા આલોક અને પરલોકને સુધારવાનો માર્ગ બહારથી અંદર તરફ જતો હોય છે પણ દુર્ભાગ્યે આપણી નજરમાં તે આવતો નથી પરિણામે આપણાં બેય બગડે છે.
હવે આપણે વિચાર કરીએ કે આપણાં વાણી વર્તનને કોણ ઘડે છે ? આપણાં વાણી વર્તનનો જે વ્યવહાર છે તે આપણી અંદર પડેલી વૃત્તિઓને કારણે હોય છે. આપણે ધર્મમાર્ગમાં આગળ વધવું હોય કે સ્વસ્થ રહીને જીવવું હોય તો સૌ પહેલાં આપણે આપણી વૃત્તિઓનું નિરીક્ષણ કરવાની ટેવ પાડવી જોઈએ. વાત એકલા નિરીક્ષણની નથી પણ તેનાથી શરૂઆત કરીને સૌ પહેલાં આપણે આપણને બદલવાના છે. આપણને ઓળખવાના છે. દુનિયાને બદલવા નીકળેલા આપણે આપણને બદલવાનું જ ભૂલી જઈએ છીએ. સૌનો વાંક કાઢનારા આપણે આપણો જ વાંક જોઈ શકતા નથી. તેને લીધે આપણે આપણું મોંઘામૂલું જીવન હારી જઈએ છીએ.
પ્રથમ તો આપણે એ વાત સમજી લેવાની જરૂર છે કે આપણે દુનિયાને નહિ બદલી શકીએ પણ આપણે આપણને બદલીને દુનિયામાં જે તે રીતે સમાવેશ કરી લેવાનો છે અને એ જ સુખ શાન્તિનો માર્ગ છે.
હવે આપણે એ વિચાર કરીએ કે આ વૃત્તિઓ ઉત્પન્ન કેવી રીતે થાય છે અને માણસના જીવન ઉપર તે કેવી રીતે અસર કરે છે. આપણું મન સતત વિચાર કરતું રહે છે. આપણા મનમાં સદાય વિચારોના તરંગો ઉઠતા જ રહે છે. આપણું અંતઃમન ઉંઘમાં પણ તરવરાટ કરે છે તેને કારણે આપણે ભાત-ભાતનાં સ્વપ્નાં જોઈએ છીએ. મન વિચારોનું બીજું નામ છે, વિચાર જ્યારે ગાઢ બને છે ત્યારે તે વૃત્તિ બને છે. આ વૃત્તિઓ બીજ જેવી છે. તેમાં આપણા રાગ-દોષનું સિંચન થતાં તે ફૂલેફાલે છે અને પછી આપણાં વાણી-વર્તન તરીકે તે બહાર આવે છે અને તેનાં જે તે પરિણામો આપણે ભોગવવાં પડે છે. તેથી માણસે પોતાની વૃત્તિઓને ઓળખવી જોઈએ અને જો તે બરોબરન હોય તો તેને પુરૂષાર્થ કરીને બદલવી જોઈએ. વૃત્તિઓને બદલવા માટે જરૂર રહે છે આંતરિક પુરૂષાર્થની.
વૃત્તિઓ આપણા કર્મબંધનું કારણ છે. વૃત્તિઓ જ આપણને પાપ-પુણ્યમાં જોડે છે.
માણસ માત્રની વૃત્તિઓનો ત્રણ ભાગમાં સમાવેશ થઈ જાય છે. સાત્ત્વિક, રાજસી અને તાપસી. સાત્ત્વિક એ સ્વસ્થતાની પ્રકૃતિ છે. રાજસી ભોગ અને ચંચળતાની પ્રકૃતિ છે, તાપસી એ ક્રોધ-કપટ અને હિંસાની પ્રકૃતિ છે. આ પ્રકૃતિમાં નિરંતર ફેરફાર થતા રહે છે અને આ ફેરફાર કરનાર પરિબળ વૃત્તિઓ છે. હવે જો વૃત્તિઓ બદલાય તો પ્રકૃતિ બદલાય, પ્રકૃતિ બદલાય તો વાણી-વર્તન બદલાય અને જીવન બદલાય. વૃત્તિઓ જ કર્મબંધનું મૂળકારણ છે તેથી માણસેસતત પોતાની વૃત્તિઓનું નિરીક્ષણ કરતા રહેવું જોઈએ અને વિવેકબળથી અને વિચાર બળથી તેમાં ફેરફાર કરતા રહેવું જોઈએ. આત્મજાગૃતિ હોય તો જ આ થઈ શકે. આ એક સાધના છે. મંદિરોમાં જઈને દર્શન-પૂજા કરવા કરતાંય આ કામ કઠિન છે. વાસ્તવિકતામાં આપણા ધર્મની સઘળી ક્રિયાઓનું લક્ષ્ય પરિવર્તન છે પણ જ્યાં આપણે વૃત્તિઓનું નિરીક્ષણ જ ન કરતા હોઈએ, તેના સારાસારનો વિવેક રાખતા ન હોઈએ ત્યાં તેમાં પરિવર્તન કેવી રીતે કરવાના ?
જો આપણું જીવન કેવળ સ્વાર્થી લાગણીઓવાળું, વાસનાને પોષણ આપનારું અને તે મેળવવા માટે રૌદ્ર પ્રવૃત્તિવાળું હોય, અનેક જીવોનો સંહાર કરનારું અને તેમને દુઃખ આપનારું હોય તો આપણી મનોવૃત્તિઓ તાપસી ભાવનું પોષણ પામીને આપણા બીજા જન્મને ઘણો દુઃખ રૂપ ઉત્પન્ન કરે છે.
એનો અર્થ એ થયો કે આપણા આલોકને અને પરલોકને સુખી અને સ્વસ્થ રાખવા માટે આપણી વૃત્તિઓનું જ મહત્ત્વ છે. તેથી જીવનમાં કોઈ પુરુષાર્થ કરવાનો છે તો તે આપણી વૃત્તિઓનું નિરીક્ષણ કરી, તેમની વચ્ચે વિવેક કરીને હલકી પ્રકૃતિમાંથી સારી પ્રકૃતિમાં જવાનો. જો આપણા ઉપર તામસી પ્રકૃતિનો પ્રભાવ હોય તો રાજસી પ્રકૃતિમાં જવા પ્રયાસ કરવો રહ્યો. રાજસી પ્રકૃતિનો પ્રભાવ આપણા ઉપર હોય તો આપણી અંતરમનની વૃત્તિઓને બદલીને સાત્ત્વિક પ્રકૃતિમાં જવા માટે પુરૂષાર્થ કરવાનો છે અને જો સાત્ત્વિક પ્રકૃતિમાં હોઈએ તો ત્રણેય પ્રકૃતિઓથી પર થઈ જવાનો પુરૂષાર્થ કરવાનો છે.
આત્માની અધોગતિને બદલે ઉન્નતિ ગતિમાં જવાનું સામર્થ્ય આપણા હાથમાં જ છે. જીવનમાં જ્યારે અને જ્યાં તક મળે ત્યારે તેને ઝડપી લઈને આપણે જે પ્રકૃતિમાં હોઈએ તેનાથી ઉચ્ચ પ્રકૃતિમાં જવા માટે આપણે પુરુષાર્થ કરવાનો છે. ભગવદ્ ગીતામાં આ વાત વિગતે કહેવાયેલી છે. વૃત્તિ નિરીક્ષણ એ ધર્મનું આવશ્યક અંગ છે. જેના તરફ આપણે ઓછું લક્ષ આપીએ છીએ પરિણામે ઘણી બધી ધર્મપ્રવૃત્તિઓ કરવા છતાંય આપણે ધર્મથી વેગળા ને વેગળા રહીએ છીએ. જીવનમાં વૃત્તિ નિરીક્ષણ કરવાનો અભિગમ રાખ્યો હશેતો આપણી ઉત્તરોત્તર ઉન્નતિ જ થતી રહેવાની.
- ચંદ્રહાસ ત્રિવેદી
[ગુજરાત સમાચાર માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.